
દૈનિક અખબારના 36 વર્ષીય પત્રકાર વિમલ યાદવની બિહારના રાનીગંજમાં ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીઓએ ઘરના દરવાજા પર ચઢીને મુખ્ય દરવાજો ખોલતા પત્રકાર વિમલ યાદવ સામે આવતા ગોળીબાર કર્યો હતો.
વિમલ યાદવ પર ગોળીબાર કરી આરોપીઓ ફરાર થયા હતા. હત્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને આસપાસ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. હત્યાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી.
વિમલ યાદવના સંબંધીઓનું કહેવું છે કે, સુપૌલ જેલમાં બંધ રૂપેશે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. રૂપેશે જેલમાંથી હત્યાનો આદેશ આપ્યો હતો. અગાઉ એપ્રિલ 2019માં વિમલ યાદવના નાના ભાઇ ગબ્બુ યાદવની હત્યા કરી હતી. વિમલ યાદવ તેના ભાઇના હત્યા કેસનો મુખ્ય સાક્ષી હતો.
કેસની ઝડપી સુનાવણી ચાલું છે ત્યારે કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા વિમલ યાદવની હત્યા કરવામાં આવી છે. તો સમગ્ર બનાવ અંગે અરરિયા એસપીનું કહેવું છે કે, ઘટનાને 2 આરોપીઓએ અંજામ આપ્યો છે. બંનેની શોધખોળ માટે દરોડા પાડવામાં આવ્યા છે, જેથી ટૂંક સમયમાં જ તેઓની ધરપકડ કરવામાં આવશે.










