
તા.૨૦/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: ચીનમાં બાળકોમાં જોવા મળેલી રહસ્યમય બીમારીને લઈને સંભવિત અસરો સામે ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વ્યવસ્થાની ચકાસણી માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકામાં શહેરની સરકારી હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર(જલારામ) ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં બેડ, ઑક્સિજન પ્લાન્ટ સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.


જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.એન.બી. પડીયાના જણાવ્યાનુસાર, હોસ્પિટલ ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન કોન્સન્ટ્રેશન, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર તેમજ દવાઓ અને કન્ઝયુમેબલ્સ, RTPCR લેબોરેટરી, દવાનો સ્ટોર વગેરેની ઉપલબ્ધિની ચકાસણી કરવામાં આવી હતી. મોકડ્રિલમાં દર્દીને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લાવી, ડોકટર દ્વારા જરૂરી તપાસ બાદ યોગ્ય સારવાર કરવામાં આવેલી તથા જરૂર જણાયે ઓક્સિજન આપી યોગ્ય રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આ તકે ચીફ ઓફિસરશ્રી એ.કે.ગઢવી, જેતપુર શહેર મામલતદારશ્રી વી.એન. ભારાઈ, આર.એમ.ઓ. ડો.આર.પી.પાટીલ, જેતપુર શહેર નાયબ મામલતદારશ્રી જે.જી.સેંજરીયા સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર(જલારામ)નાં અધિક્ષકશ્રી ડૉ. બી.ડી.ડોડીયાનાં જણાવ્યા મુજબ, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્રે ૩૦ બેડની સુવિધ, પલ્સ ઓક્સિમીટર, ઓક્સિજન કોન્સન્ટ્રેશન, ઑક્સિજન સિલિન્ડર અને પ્લાન્ટથી પાઈપલાઈન દ્વારા ઑક્સિજન બેડ સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે તથા કોવિડ-૧૯ ને લગત જરૂરી દવાઓ તથા જરૂરી સાધન સામગ્રી, સંસ્થાની એમ્બ્યુલન્સ, ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને જીલ્લા લેવલની હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પુરતા પ્રમાણમાં છે. આ મોકડ્રીલમાં જેતપુર ગ્રામ્ય મામલતદારશ્રી એ.પી.અંટાળા, વિરપુર ગામનાં સરપંચશ્રી રમેશભાઈ સરવૈયા તથા ગામના આગેવાનો તથા હોસ્પિટલ સ્ટાફ તથા ગ્રામજનોએ ઉપસ્થિત રહી આ મોકડ્રીલ થકી જાગૃતિ કેળવી હતી.








