MORBI:મોરબી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

મોરબી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પોતાની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન મોરબીમાં વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ઉભા કરવામાં આવેલ પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ્સની મુલાકાત લઈ સહૃદયતાથી ખેડૂત ભાઈઓને મળી તેઓની સાથે ભાવપૂર્ણ સંવાદ સાધ્યો હતો. પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા બદલ સૌ ખેડૂત ભાઈઓને રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સ્થાનિક કૃષિ તથા તેઓના ઉત્પાદનોની વિશેષતા, પ્રાકૃતિક કૃષિ દ્વારા થતા લાભો, પ્રાકૃતિક ખેતી થકી વિવિધ ખેત પેદાશોના ઉત્પાદનમાં થયેલ વધારો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ તેઓના પ્રતિભાવો જાણ્યાં હતા.

ઉપસ્થિત ખેડૂતોએ પણ રાજ્યપાલશ્રી દ્વારા આરંભવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ અભિયાનની પ્રસંશા કરી હતી. આ અભિયાનમાં સહભાગી થવાનો અવસર મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ થકી અમને ખૂબ ફાયદો થયો છે અમારા ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં વધારો થતાં અમને આર્થિક રીતે પણ ખૂબ જ મદદ મળી રહી છે.આ મુલાકાત દરમિયાન રાજયપાલશ્રી સાથે ધારાસભ્ય સર્વશ્રી પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા સહિતના મહાનુભાવો, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








