દ્વારકા ખાતે તાલુકા તથા નગરપાલિકા કક્ષાનો સયુંકત “અમૃત કળશ યાત્રા” કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવાન્વિત કરવા હેતુ આજરોજ હીરબાઇ માણેક હૉલ દ્વારકા ખાતે ધારાસભ્યશ્રી પબુભા માણેક અધ્યક્ષસ્થાને તાલુકા તથા નગરપાલિકા સયુંકત કક્ષાનો “અમૃત કળશ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.
ધારાસભ્યશ્રી પબુભા માણેકે જણાવ્યું હતું કે, દીર્ઘદૃષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા હેતુ “મારી માટી મારો દેશ” અભિયાન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આજરોજ દ્વારકા તાલુકા તથા નગરપાલિકા વિસ્તારમાંથી માટી એકત્રિત કરી અહીંયા લાવવવામાં આવી છે જે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે. આ માટી ગામો, તાલુકાઓ તથા જિલ્લામાંથી એકત્રિત કરીને દિલ્હી ખાતે લઇ જવામાં આવશે. જ્યાં શહીદો બલિદાન યાદ કરવા અમૃત વાટિકા વનનું નિર્માણ કરવામાં આવશે.
આ તકે અગ્રણીશ્રી યુવરાજસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં શહીદ વીરોનાં બલિદાન યાદગીરી રૂપે મારી માટી મારો દેશ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી રહી છે. સરહદ પર રાષ્ટ્રની રક્ષા કરનાર શહીદો શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૨ જેટલા લાભાર્થીઓને મંજૂરી પત્ર વિતરણ કરવામાં આવ્યા હતાં. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ દ્વારકા તાલુકાના વિવિધ ગામોમાંથી એકત્રિત કરાયેલ અમૃત કળશ યાત્રા અંગે શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખશ્રી દેવસિંગભા હાથલ, ઓખા નગરપાલીકા પ્રમુખશ્રી ઉષાબહેન ગોહિલ, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી એચ.બી.ભગોરા, દ્વારકા તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ અગ્રણીશ્રી ખેરાજભા કેર, જેઠાભાઈ હાથિયા, લુણાભા સુમણીયા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઊપસ્થિત રહ્યા હતા.









