ભાવનગરમાં યોજાયું ક્ષત્રિય સમાજનું સંમેલન, ક્ષત્રિયોની એક જ માંગ – રૂપાલાની ટિકિટ રદ્દ કરો

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટથી શરૂ થઈ હાલ સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે આગળ વધતો જાય છે. ભાવનગરમાં પણ આજે ક્ષત્રિય સમાજ મોટો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ અને યુવકો એકઠા થઈ રલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ક્ષત્રિય મહિલાઓ દ્વારા હુંકાર કરવામાં આવ્યો કે જો રૂપાલાને રાજકોટથી હટાવવામાં નહીં આવે તો તેઓ જોહર કરવા પણ તૈયાર છે.
ભાવનગર શહેરમાં આવેલી ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, AAP સહિત તમામ રાજકીય આગેવાનો, ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં વિરોધ માટે જોડાયા હતા. ભાવનગરની ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજનું એક સભાના સ્વરૂપમાં સંમેલન યોજાયું હતું.
ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા તેમજ પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પણ વક્તવ્ય આપ્યું હતું અને પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે દુઃખ વ્યક્ત કર્યું હતો સાથે ક્ષત્રીય સમાજના યુવાનો, મહિલાઓએ પણ પોતાનો એક સૂર સાથે મત રજૂ કર્યો હતો અને ભાજપ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરે તેવી ઉગ્ર માંગ કરી હતી.
ભાવનગર લોકસભામાં અઢી લાખથી વધારે મતદારો ક્ષત્રિય સમાજના છે. ભાવનગર વિસ્તારમાં ક્યારેય લોકસભાની ચૂંટણીમાં પહેલા આ પ્રકારે આક્રમક અને આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનું ભેગું થવું અને વિરોધ કરવો ભાજપ માટે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય.
સંમેલન પૂર્ણ થયા બાદ રેલી કાઢીને ભાવનગર કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ રેલીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોઈ પણ પ્રકારના વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે રેલી કલેકટર કચેરી પહોંચી હતી.
સમગ્ર ઘટનાને લઈને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો દ્વારા એક જ માંગ કરાઈ હતી કે રૂપાલાને ત્યાંથી હટાવવામાં આવે અને તેમની ટિકિટ રદ્દ કરવામાં આવે. જો ટિકિટ રદ્દ નહીં થાય તો તેઓ જોહર કરવા પણ તૈયાર છે. આને ચીમકી માનો તો ચીમકી અને ધમકી માનો તો ધમકી. મહિલાઓએ હુંકાર કર્યો હતો કે અમે માત્ર બોલતા નથી પરંતુ કરી દેખાડીએ છીએ.










