

ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક આજ રોજ જિલ્લા આયોજન કચેરી- ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ ધ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો સમયસર ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
બેઠકમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી દ્નારા કરાયેલા પ્રશ્ન સંદર્ભે તાકિદે કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. બેઠકમાં પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
બેઠકમાં કલેકટરએ સરકારી વિભાગોના પડતર તુમાર નિકાલ, પડતર અવેઇટ કેસો, ખાનગી અહેવાલ, ગ્રેજ્યુઇટી વગેરેની સમયસર ચૂકવણી, કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને સંબંધિત અધિકારીઓને જરૂરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠકમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્યો અરૂણસિંહ રણા, રમેશભાઇ મિસ્ત્રી, રીતેશભાઇ વસાવા અને જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ, સહિત ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ઉપારાંત નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








