
દેશભરના ડૉક્ટરને ફરજિયાત જેનેરિક દવાઓ લખી આપવાનો નિર્ણય નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ મોકૂફ રાખ્યો છે. સાથે જ તબીબોને ફાર્મા કંપનીઓ પાસેથી ગિફ્ટ સ્વીકારવાની મનાઈ ફરમાવતો આદેશ પણ હાલપૂરતો રદ કરાયો છે. એનએમસીએ ગત 2 ઓગસ્ટના રોજ જારી કરાયેલા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર (પ્રોફેશનલ કન્ડક્ટ) રેગ્યુલેશન્સ, 2023 હેઠળ આ નિયંત્રણો જાહેર કર્યા હતા. જે મુજબ ડૉક્ટર્સને ચોક્કસ બ્રાન્ડની જ દવાનો આગ્રહ રાખવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.
એનએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિયંત્રણોનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ) અને ઇન્ડિયન ફાર્માસ્યુટીકલ અલાયન્સ (આઇપીએ) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગત સોમવારે આઇએમએ અને આઇપીએના પ્રતિનિધિઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી. એનએમસીએ અગાઉ જણાવ્યું હતું કે તમામ ડૉક્ટર્સે જેનેરિક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાની રહેશે. આમ નહીં કરનાર તબીબ સામે લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ડૉક્ટરોને બ્રાન્ડેડ દવાઓ લખવાની પણ મનાઈ કરાઈ હતી.






