
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં તા. ૨૨ નવેમ્બર થી બે માસ સુધી ભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
ત્રણ રથો સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવાનું આયોજન

જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઇ
સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે મહીસાગર જિલ્લામાં આગામી તા. ૨૨ થી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહીસાગર જિલ્લાને ત્રણ રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે મહીસાગર જિલ્લા સેવાસદન ખાતે મળેલી બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન મહીસાગર જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરીને આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી PRANAM યોજના અને નેનો ફર્ટિલિજેર યોજના સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે સાથે ટ્રાઈબલ તાલુકામાં સિકલ સેલ એનીમિયા એલિમિનેશન મિશન,એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં નોંધણી, શિષ્યવૃતિ યોજનાઓ, વન અધિકાર- વ્યક્તિગત અને સામુદાયિક જમીન, વન ધન વિકાસ કેન્દ્ર ( સ્વસહાય જૂથોનું આયોજન) આવરી લેવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, મહીસાગર જિલ્લામાં આગામી તા. ૨૨ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે. જે જિલ્લાના ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. સરકારની યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ પ્રયત્નો કરવા તેમણે સૂચના આપી હતી. ગામેગામ આ યાત્રાનું સ્વાગત, લાભાર્થીઓની સાફલ્ય ગાથા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.








