
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન આગમાં 4 શ્રમિકો જીવતા ભૂંજાયા,ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી સામે માનવ વધનો ગુન્હો નોંધાયો
ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ 16 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ટીમે કાબુ મેળવવામાં સફળ, હજુ મૃતદેહ હોવાની આશંકા

વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સતત ખડેપગે, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી નમૂના લેવા તજવીજ હાથધરી
મહેશ્વરી ક્રેકર્સના માલિક દેવકીનંદન અને મહાદેવ ભૂગર્ભમાં ઉતરી ગયા

મોડાસા-હિંમતનગર રોડ પર લાલપુર કંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં ફટાકડાનું ટેસ્ટીંગ દરમિયાન એક બાદ એક ભયાનક વિસ્ફોટ થતા ગોડાઉનમાં સેન્ટીંગનું કામ કરી રહેલા 4 શ્રમિકો આગમાં ભડથું થઇ જતા ભારે ચકચાર મચી છે આ મામલે ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી બંધુ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવા સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગોડાઉનમાં કામકાજ કરતા અન્ય શ્રમિકો ભાગી છૂટતા ગોડાઉનમાં અન્ય કોઈ મોત થયું છે કે નહીં તે જાણવા તંત્ર પણ ગોઠે ચઢ્યું છે
લાલપુર કંપા નજીક આવેલી મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં ગત રોજ બપોરના સુમારે ગોડાઉન માલિક દેવકીનંદન મહેશ્વરી અન્ય એક વ્યક્તિ સાથે મળી ગોડાઉનમાં ફટાકડા ટેસ્ટિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક બ્લાસ્ટ થયા પછી ગોડાઉનમાં રહેલા ફટાકડા વિસ્ફોટક રૂપ ધારણ કરતા ગણતરીના સેકંડમાં ગોડાઉન ભીષણ આગમાં લપેટાતા ગોડાઉન બાજુમાં આવેલ ધાબા પર કન્સ્ટ્રકશનનું કામ કરતા 4 પર પ્રાંતીય મજુર આગમાં સ્વાહા થઇ ગયા હતા સચીન નામનો શ્રમિક નીચે હોવાથી આબાદ બચાવ થયો હતો અને ભીષણ આગમાંથી બહાર નીકળી ગયો હતો આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડે મેજર કોલ આપ્યો હતો અને 16 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉનની આજુબાજુ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે
મહેશ્વરી ક્રેકર્સના ગોડાઉનમાં કામ કરતા ચાર શ્રમિકો જીવતા ભૂંજાઈ જતા સચિન ખેમરાજભાઈ કોટેડ (રહે,બાસિયા, ડુંગરપુર-રાજ) ની ફરિયાદના આધારે મોડાસા ટાઉન પોલીસે દેવકીનંદન મહેશ્વરી અને મહાદેવ મહેશ્વરી (બંને,રહે-મોડાસા) સામે આઈ.પી.સી કલમ-304,284, 286 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર,મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનના માલિક દેવકીનંદન ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થતા બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો ગોડાઉનમાં કામ કરતા 4 પરપ્રાંતીય શ્રમિકો આગમાં ભડથું થયા હોવાની જાણ થતા ગોડાઉનના વહીવટદાર અને તેના મોટા ભાઈ મહાદેવ મહેશ્વરી સાથે મોડાસા છોડી રાજસ્થાનમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી








