
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટ્રીમાં આગ લાગવાથી 11 લોકોના મોત થવાની ઘટના સામે આવી છે. રાજ્યના વિરુધુનગર જિલ્લાના રંગપાલયમ અને શિવકાશી વિસ્તારમાં 2 ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે, જેમાં 9 મહિલા સહિત 11 લોકોના મોત થયા છે, જ્યારે 2 ઈજાગ્રસ્ત થયા છે. મળતા અહેવાલો મુજબ ફટાકડાના સેમ્પલનું ટેસ્ટિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
આગ લાગવાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તેમજ બચાવ કાર્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ સ્થાનિક લોકો સાથે મળીને આગ પર કાબુ મેળવવા અને પીડિતોને બચાવવાના પ્રયાસો કરી રહી છે. ફેક્ટરીઓ પાસે માન્ય લાયસન્સ હતું કે નહીં, તેની તપાસ ચાલી રહી છે.
શિવકાશીની ફટાકડા ફેક્ટરીમાં અચાનક થયેલા વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે 7 સળગેલા મૃતદેહો મળ્યા છે અને હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસને શ્રમિકોના મોત થયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, કમ્માપટ્ટી ગામમાં પણ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે.






