પરિક્રમામાં અચાનક વરસાદ પડતા યાત્રાળુઓએ કરી એક દિવસ અગાઉ પરિક્રમા પુર્ણ

ગિરનારમાં અચાનક કમોસમી વરસાદ પડતા પરિક્રમાર્થીઓ તથા ઉતારા મંડળના સંચાલકો થયા પરેશાન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે ગિરનારની ગોદમાં આજે પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી હતી. જો કે આ સમયે હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ અચાનક વરસાદ તૂટી પડતાં પરિક્રમા અને ગિરનાર આવેલા ભાવિકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક પરિક્રમાર્થીઓ અટવાયા હતા, તો કેટલાકે ગિરનારની તળેટીમાં વરસાદને મન ભરીને માણ્યો હતો. વરસાદને કારણે ગિરનાર અભયારણ્ય અને પરિક્રમા માર્ગ પર વરસાદના કારણે જંગલ વિસ્તારના રસ્તાઓ ખરાબ થઈ જવાના કારણે ભાવિકો માટે જંગલ વિસ્તારમાં ચાલવું ખૂબ મુશ્કેલ હતું. જંગલની માટી અને વરસાદી પાણીને કારણે જમીન એકદમ ચીકણી બની જતાં પ્રવાસીઓને ચાલતી વખતે લપસી જવાનો ડર ઉભો થયો હતો. અચાનક વરસાદને કારણે કેટલાક પરિક્રમાર્થીઓ તથા અન્નક્ષેત્રો ચલાવતા ઉતારા મંડળોના સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો હતો. ત્યારે બીજી તરફ આચાનક જ ભારે વરસાદના કારણે રોપ વે પણ બંધ કરવામાં આવ્યો હોવાથી ગુરૂ શિખર જવા માંગતા ભાવિકોમાં નિરાશા જોવા મળી હતી.





