BOTADBOTAD CITY / TALUKO

સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્રમાં સૂર્યદેવ અંગે વિવાદિત લખાણ

બોટાદના પ્રખ્યાત સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોની ઘટના બાદ ઉચાટભર્યો માહોલ છવાયો છે. તેવામાં વધુ એક ઘટનાને કારણે બળતામાં ઘી હોમાય તેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર પુસ્તકમાંથી એક લખાણ તથા ચિત્ર સામે આવ્યું છે જેમાં નીલકંઠવર્ણીની કૃપાથી ભગવાન સૂર્યનારાયણને પ્રકાશ મળતો હોય તેવી વિગતો લખેલી છે. તેમજ નીલકંઠવર્ણી ભગવાન સૂર્યનારાયણને આશીર્વાદ આપતા હોય તેવા ચિત્રો પણ આ પુસ્તકમાં જોવા મળ્યા છે. જેથી વધુ એક વિવાદનો મધપૂડો છેડાયો છે. આ ઘટનામાં રાજકોટ શહેરના બ્રાહ્મણ સમાજ અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે. તેમજ પુસ્તક ઉપર પ્રતિબંધ મુકવાની પણ માગ ઉઠવા પામી છે. તો બીજી તરફ બોટાદમાં જ્યાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યાં અચાનક ભીંતચિત્રો જ્યાં કંડારવામાં આવ્યા છે તે જગ્યાએ એક ભક્તે કુહાડી મારી તેને તોડવાના પ્રયાસો કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. બેરિકેડ્સ તોડીને આ વ્યક્તિ દોડતો દોડતો હનુમાનજીની પ્રતિમા પાસે પહોંચી ગયો હતો અને પ્રતિમાની નીચેના શિલ્પચિત્રો પાસે જઇ તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તરત સ્થિતિ હાથમાં લઇ તેને ઝડપી પાડ્યો હતો. હર્ષદ ગઢવી નામનો આ વ્યક્તિ ગઢડા તાલુકાના ચારણકી ગામનો હોવાની વિગતો સામે આવી છે અને પોલીસ તેની સામે યોગ્ય પગલા લઇ રહી છે.

ઘટનાને પગલે ડીવાયએસપી પણ મંદિરમાં પહોંચ્યા હતા અને પ્રતિમાને વાંસથી કોર્ડન કરી બંદોબસ્ત વધુ કડક બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. સતત 2 દિવસથી ચાલી રહેલા વિવાદને પગલે સાળંગપુર ધામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સ્થિતિ કાબૂમાં રાખવા પીઆઇ સહિત 75 પોલીસ જવાનોનો બંદોબસ્ત મંદિરની આસપાસ ગોઠવવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button