
MORBI:મોરબી પંથકમાં ઠેર ઠેર ભગવાન રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

મોરબી જીલ્લામાં પ્રભુ શ્રીરામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા, મહાઆરતી મહાપ્રસાદ, અવનવી ભગવાન રામ તથા માતા સીતાની પ્રતિકૃતિવાળી રંગોળી, ગૃહ-પ્રવેશ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરી સહર્ષ ખુશી આનંદ ઉત્સાહ સાથે રામમય વાતાવરણ સર્જી ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેરમાં હિન્દૂ સંગઠનો દ્વારા શોભાયાત્રા તેમજ કારસેવકોના સન્માન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જયારે અલગ અલગ સોસાયટી તથા વાડી વિસ્તારોના આગેવાની દ્વારા રાસ ગરબા, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરી ઉજવણી કરી હતી તથા રાજકીય સામાજિક આગેવાનો દ્વારા મીઠાઈનું વિતરણ તથા ધાર્મિક કર્યો કરવા શહેરના મુખ્ય માર્ગો ઉપર કેમ્પ રાખી રામનામની ઉજવણીની અભિવ્યક્તિ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મોરબીમાં સર્વે હિન્દૂ સમાજ દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરબાર ગઢથી નહેરૂગેટ ચોક સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારો લોકો ઉમટ્યા હતા.આ શોભાયાત્રા નહેરૂગેટ ચોક ખાતે વિરામ પામી હતી. જ્યાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભગવાન શ્રી રામ ઉપરના ગીતો ગવાયા હતા. આ ઉપરાંત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સાથે મહાઆરતી પણ કરાઈ હતી. વધુમાં અહીં શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા ખાસ અંગારા રાસ લેવામાં આવ્યો હતો.








