
ભક્તોને કોઈ ન પહોંચે. તેમની ખાસિયત એ છે કે હંમેશા પોતાની તંગડી ઊંચી રાખે ! મોંઘવારી/ બેરોજગારી ભલે પીડા આપે; લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવ ભલે 500 રુપિયા થઈ જાય; મહિલાઓની ભલે નગ્ન પરેડ થાય; પણ જોઈએ તો અવતારી વડાપ્રધાન જ !
19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં ‘જૂના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ’માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચમાં ભારતની ટીમ હારી ગઈ કે તરત જ સોશિયલ મીડિયામાં વડાપ્રધાનની સ્તુતિ કરતી પોસ્ટ ફરતી થઈ ગઈ !
ચમચાગીરીનો ઉત્તમ નમૂનો જોઈએ : “અજીત ડોભાલ સવારથી જ બેચેન હતા. વડાપ્રધાન પોતાના 18 કલાકના વર્ક શેડ્યૂલમાંથી સમય કાઢીને વર્લ્ડ કપની ફાઈનલ જોવા જઈ રહ્યા હતા. ડોભાલને પોતાની જાસૂસી કાંડા ઘડિયાળમાંથી મેસેજ મળ્યો હતો. તે તરત જ હેલિકોપ્ટરમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા. ફ્લાઈટમાં તેણે ઓનલાઈન મીટિંગ કરી. હેલિકોપ્ટરમાંથી ઉતર્યા ત્યારે એક અધિકારીએ કહ્યું કે ‘સર ! આપણે વર્લ્ડ કપ ફાઈનલ મેચ હારી ગયા છીએ !’ ડોભાલ ખડખડાટ હસ્યા. તેમની ખુશી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ મોટી લાગતી હતી. અધિકારીએ પૂછ્યું : ‘પણ સાહેબ ! આપણે તો મંદિરોમાં ઠેરઠેર હોમ-હવન કરાવ્યા હતા ! સ્વામિનારાયણ સંપ્રદાયના ‘સંતો’એ તો જળાભિષેક કર્યો, હનુમાનદાદાને જીતાડવાનું કામ સોંપી દીધું હતું. સત્તાપક્ષના ભક્તોએ ફટાકડા ખરીદી લીધા હતા ! સ્ટેડિયમમાં કપિલદેવ સિવાયના મહાનુભાવોને હાજર રાખ્યા હતા. છતાં આપણે હારી ગયા ! અને આપ આટલા ખુશ કેમ છો?’ ડોભાલે કહ્યું : ‘ભારત ફાઈનલ મેચ સરળતાથી જીતી શક્યું હોત. પરંતુ ઘણા દુશ્મન દેશો ભારત પર ખરાબ નજર રાખી રહ્યા છે. તેમાંથી એક છે પાકિસ્તાન. પાકિસ્તાને મોટી રકમનું વિદેશી ભંડોળ લઈને, વિશ્વના તમામ સટ્ટા બજારોમાં નાણાંનું રોકાણ કર્યું હતું. જો ભારત જીતે તો આપોઆપ પાકિસ્તાન અમીર બની જાય. આ પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે થાય. મને આની જાણ થતાં મેં વડાપ્રધાનને/ ગૃહમંત્રીના પુત્ર જય શાહને માહિતી આપી. જય શાહે ટીમને કહ્યું : ‘આપણે હારવા માંગીએ છીએ, કેમકે આપણે હારીશું તો જ ખરા અર્થમાં જીતીશું !’ અમિત શાહે પોતાના પુત્રને BCCIની ખુરશી પર એટલે બેસાડ્યો છે કે આવા હોદ્દા પર વિશ્વાસપાત્ર માણસની જરૂર હોય છે. સટ્ટામાં ડૂબેલા પૈસાને કારણે ભિખારી પાકિસ્તાન હવે વધુ ભિખારી અને દેવાદાર બનશે. આતંકવાદીઓ પણ ભાંગી પડ્યા છે ! આગામી વર્ષોમાં કોઈ માથું ઊંચકશે નહીં. વાસ્તવમાં, આ મેચને કારણે લોકો ભાવનાત્મક રીતે પીડા અનુભવે છે, પરંતુ મને ખાતરી છે કે ભવિષ્યમાં જ્યારે આ હાર પાછળનું સાચું કારણ બહાર આવશે ત્યારે બધા એક જ વાક્ય કહેશે કે ‘વાહ અવતારીજી, વાહ !’ હવે આપણે બધાએ આ હારની ઉજવણી કરવી જોઈએ !”
ભક્તો કદાચ એવું ઈચ્છે છે કે અજીત ડોભાલને પોતાની જાસૂસી કાંડા ઘડિયાળમાંથી એવો મેસેજ મળે કે વિશ્વાસપાત્ર માણસ તરીકે જય શાહને જ વડાપ્રધાન તરીકે મૂકી દો !rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

[wptube id="1252022"]





