ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો

‘વન્યજીવ અને સંરક્ષણ વિજ્ઞાન : એડવાન્સિસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય ઉપર યોજાયેલ સેમિનારમાં અમેરિકા અને ઓસ્ટ્રેલીયાના વૈજ્ઞાનિકોએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ દ્વારા ‘વન્યજીવ અને સંરક્ષણ વિજ્ઞાન : એડવાન્સિસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન ઓમ એજ્યુકેશન કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. સેમિનારમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જુનાગઢ તથા તેની આસપાસના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જંગલો તથા વન્યજીવો જોવા મળે છે ત્યારે યુનિવર્સિટીના આ કેન્દ્ર દ્વારા વન્યજીવો અને તેના સંરક્ષણ અંગેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધન માટેની પુષ્કળ શક્યતાઓ રહેલી છે.
યુએસએ(અમેરિકા)ના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડૉ.જુલિયા બેવિન્સ અને યુનિવર્સિટી ઑફ ક્વીન્સલેન્ડ, ઑસ્ટ્રેલિયાના ડૉ.બાર્બરા વિલિયમ્સે વાઇલ્ડલાઇફ સાયન્સમાં અદ્યતન સંશોધન તકનીકો અને તકો પર તેમના વક્તવ્ય રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ બંને વૈજ્ઞાનિકો સાથે પ્રશ્નોતરી કરી મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ મેળવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી ૧૦૦ થી વધુ સહભાગીઓએ સેમિનારમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને નિષ્ણાંતોની પેનલ સાથે તેમના સંશોધન વિશે ચર્ચા કરી હતી.
સેમિનાર દરમિયાન સેન્ટરના ડાયરેક્ટર ડૉ.નિશિથ ધારૈયાએ જણાવ્યું હતું કે, વન્યજીવ અને તેના સંરક્ષણના અભ્યાસ માટેના આ સેન્ટર ખાતે વાઈલ્ડલાઈફ સાથે સંકળાયેલ વિધાર્થીઓને ઈન્ટર્નશીપ આપવામાં આવે છે અને ટૂંક સમયમાં સેન્ટર વન્યજીવ અને તેના સંરક્ષણ પર ટૂંકા ગાળાના અભ્યાસક્રમો તેમજ માસ્ટર્સ ડિગ્રી પણ શરૂ કરાશે. રાજ્યમાં વન્યજીવોના વૈજ્ઞાનિક સંશોઘન આધારિત સંરક્ષણની જરૂરિયાતોને પૂરી કરવા અને ગુજરાતમાં વન્યજીવ અને સંરક્ષણ વિજ્ઞાન પર કૌશલ્ય આધારિત શૈક્ષણિક કાર્યક્રમો પૂરા પાડવાના ધ્યેય સાથે ઑક્ટોબર ૨૦૨૩ માં ગુજરાત સરકાર દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સેન્ટર ઑફ એક્સલન્સ તરીકે આ સેન્ટર એનાયત કરવામાં આવ્યું છે.





