
પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિ વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ 
જૂનાગઢ : યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીએ નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તથા રાસ ગરબાના વિવિધ પ્રકારોને સમાવેશ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.
બૉત્સ્વાના ખાતે આજે યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકેની જાહેરાતનું રાજ્યભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના અન્ય તમામ જિલ્લામાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવતા કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સ્થાનિક લોકો કાર્યક્રમને માણ્યો હતો.
દરેક જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ ખાતે જ્ઞાનબાગ ગુરુકુળ માં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ યુવાઓ દ્વારા ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ, જૂનાગઢ હરેશભાઇ ઠુંમરની અધ્યક્ષતામાં યોજાયેલ હતો. તેમજ ડેપ્યુટી મેયર, જુનાગઢ મહાનગરપાલિકા, ગીરીશભાઇ કોટેચા તથા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, જુનાગઢ મહાનગરપાલિકા, હરેશભાઇ પરસાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, એન.ડી.વાળા તથા સ્વામી નારાયણ જ્ઞાનબાગ ગુરૂકુળના કેમ્પસ ડાયરેકટર, આશીષ કાચા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.





