Raj Thackeray : રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને આપી ધમકી, ટોલ ટેક્સ બંધ કરો નહીં તો ટોલબૂથ સળગાવી દેશું

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ટોલ ટેક્સને રાજ્યનું સૌથી મોટું ‘કૌભાંડ’ ગણાવ્યું હતું. સોમવારે રોડ ટોલ ટેક્સ સિસ્ટમ નાબૂદ કરવાની માંગ કરી હતી. જો એવું નહીં કરવામાં આવે તો તેમણે ‘ટોલ બૂથ સળગાવી દેવાની’ પણ ધમકી આપી હતી. સરકાર સામે મોરચો શરૂ કરતા મનસે નેતાએ કહ્યું કે બહુ જલ્દી તેમની પાર્ટીના કાર્યકરો તમામ ટોલ બૂથ પર જશે અને નાના વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલતા રોકવામાં આવશે.
રાજ ઠાકરેએ ધમકી આપતા કહ્યું કે, “હું થોડા દિવસોમાં આ મુદ્દા પર સીએમ એકનાથ શિંદે સાથે ચર્ચા કરીશ અને જોઈશ કે મને શું પ્રતિસાદ મળે છે… આ પછી, અમારા લોકો તમામ ટોલબુથ પર જઈને ખાત્રી કરશે કે તમામ નાના વાહનોનો ટોલ વસૂલવામાં ન આવે. જો સરકાર અમારી સામે પગલાં લેશે તો અમે તે ટોલ બૂથને બાળી નાખીશું.”
મીડિયા સાથે વાત કરતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે રોડ ટોલ ટેક્સ એ રાજ્યમાં “સૌથી મોટું કૌભાંડ” છે, અને પ્રશ્ન કર્યો કે શા માટે એ જ કંપનીઓ દર વર્ષે ટોલ વસૂલાત માટે કોન્ટ્રાક્ટ અપાય છે.
રાજ ઠાકરેએ કહ્યું, “અમે પહેલાથી જ રોડ ટેક્સ ભરીએ છીએ, તો પછી ટોલ ટેક્સ પણ શા માટે ભરવો જોઈએ? આ ટોલ-બૂથમાંથી વસૂલવામાં આવતી જંગી ટોલની આવક ખરેખર ક્યાં જાય છે? આટલો ટોલટેક્સ અને રોડ ટેક્સ લેવા છતાં રોડ રસ્તાઓ અને હાઇવેની સ્થિતિ કોઈપણ સુવિધાઓ વિના દયનીય બની છે.”
પ્રારંભિક પ્રતિક્રિયામાં, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ફોર-વ્હીલર સહિત તમામ નાના વાહનોને સરકારની સૂચનાઓ અનુસાર ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ ઠાકરેએ છેલ્લા ત્રણ દાયકામાં એક પછી એક સરકારોની ટીકા કરી હતી, જેમણે ટોલ ટેક્સ નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી આ મામલે કંઈ કરવામાં આવ્યું નથી.










