મણીપુર હિંસામાં સરકારના પક્ષપાત અંગે રીપોર્ટ પ્રકાશિત કર્યા બાદ EGIના ત્રણ પત્રકારો સામે FIR

મણીપુર પોલીસે એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા (EGI) ની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમના ત્રણ સભ્યો વિરુદ્ધ કેસ (FIR) નોંધ્યો છે, આ ત્રણેય પત્રકારો હિંસાના રીપોર્ટીંગ માટે મણીપુર ગયા હતા. એફઆઈઆરમાં આરોપ છે કે EGI ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ “ખોટો, બનાવટી અને પ્રાયોજિત” છે.
એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા (EGI) એ શનિવારે જાહેર કરેલા તેના મણિપુર અહેવાલમાં જણાવ્યું હતું કે સ્પષ્ટ સંકેતો છે કે જાતિ સંઘર્ષ દરમિયાન રાજ્યનું નેતૃત્વ પક્ષપાતી થઈ ગયું હતું. અહેવાલમાં ટીમે રાજ્યના નેતૃત્વ અંગે કરવામાં આવેલી ઘણી ટિપ્પણીઓ વચ્ચે જણાવ્યું હતું કે, ” રાજ્યએ વંશીય સંઘર્ષમાં પક્ષ લેવાનું ટાળવું જોઈએ, પરંતુ સરકાર લોકશાહી સરકાર તરીકેની તેની ફરજમાં નિષ્ફળ ગઈ છે, સરકારે સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ હોવું જોઈતું હતું.”
ઇમ્ફાલ સ્થિત સામાજિક કાર્યકર્તા એન સરત સિંહે 7 થી 10 ઓગસ્ટ દરમિયાન મણિપુરની મુલાકાત લેનારા ત્રણ પત્રકારો સીમા ગુહા, સંજય કપૂર અને ભારત ભૂષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. એફઆઈઆરમાં ઈજીઆઈ ચેરમેનનો પણ આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એફઆઈઆર કહેવામાં આવ્યું છે કે ઈજીઆઈના મણિપુર રિપોર્ટમાં ચુરાચંદપુર જિલ્લામાં સળગતી ઈમારતના ફોટોને “કુકી હાઉસ” તરીકે કેપ્શન આપવામાં આવ્યું છે. જ્યારે, 3 મેના રોજ ટોળા દ્વારા વન વિભાગની કચેરી જે બિલ્ડિંગને આગ ચાંપી દેવામાં આવી હતી.
EGIએ હજુ સુધી FIR અંગે કોઈ નિવેદન આપ્યું નથી. જો કે, મામલો પ્રકાશમાં આવ્યા પછી, EGI એ રવિવારે X પર એક પોસ્ટમાં તેના મણિપુર રિપોર્ટમાં ભૂલ સ્વીકારી અને કહ્યું કે “તેને સુધારી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં અપડેટેડ મણિપુર રિપોર્ટ અપલોડ કરવામાં આવશે.” EGI એ લખ્યું, “…ફોટો એડિટિંગમાં ભૂલ બદલ અમને ખેદ છે.”
EGIના મણિપુર રિપોર્ટમાં આરોપ છે કે પડોશી દેશ મ્યાનમારમાં લશ્કરી બળવાથી ભાગીને લગભગ 4,000 શરણાર્થીઓ મણિપુરમાં પ્રવેશ્યા પછી મણિપુર સરકારે તમામ કુકી જાતિના લોકોને “ગેરકાયદેસર વસાહતી” તરીકે લેબલ કર્યા હતા. તેના અહેવાલમાં EGIએ રાજ્ય સરકારને વિવિધ મળલામાં દોષિત ઠરાવી છે. અહેવાલમાં જણાવાયું છે કે સરકારના પગલાથી કુકીઓમાં નારાજગી જોવા મળી હતી. અહેવાલમાં જણાવાયું છે કે, “રાજ્ય સરકારે સંખ્યાબંધ પક્ષપાતી નિવેદનો અને નીતિવિષયક પગલાં દ્વારા કુકી સામે બહુમતીના ગુસ્સાને વેગ આપ્યો હોવાનું જણાય છે.” EGIના મણિપુર રિપોર્ટમાં, ઇમ્ફાલ ખીણમાં સ્થિત મીડિયાને પણ મેઇતેઈ સમુદાયની તરફેણમાં પક્ષપાતી હોવાનું કહેવાયું હતું.
સરકારી સૂત્રોએ કહ્યું કે સરકાર ત્રણ સભ્યોની EGI ટીમને મળેલા દાન અથવા દાનના સ્ત્રોતોની તપાસ કરવાનું વિચારી રહી છે.










