
તા.૨૪/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જસદણ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની પેદાશોના વેચાણ અંગે બેઠક યોજાઇ
જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા સેવા સદન ખાતે પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જિલ્લાના દરેક તાલુકામાં શનિવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવાના આયોજન અંગેની બેઠક યોજાઇ હતી.

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને ઉત્તેજન આપવા પ્રચાર-પ્રસાર માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેના અનુસંધાને પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રોડક્ટ્સના વેચાણને વેગવંતુ બનાવવા જસદણ અને વિંછીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ કેન્દ્રો ઊભા કરવા અંગેના આયોજનની ચર્ચાઓ આ બેઠકમાં કરાઈ હતી.
પ્રાકૃતિક કૃષિ થકી વિવિધ પ્રોડક્ટ્સના વેચાણને વેગવંતુ બનાવવા અને ખેડૂતોને યોગ્ય માધ્યમ મળી રહે તે માટે શનિવારના રોજ જસદણ, વિંછીયા અને રાજકોટના તમામ તાલુકામાં શરૂ થનારા વેચાણ કેન્દ્રો વિશે લોકોને જાણ કરવા પ્રચાર પ્રસાર અન્વયે બેનરો, જાહેરાતો, પેમ્પલેટ અને સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરાશે. અને બેઠકમાં તમામ અધિકારીશ્રીઓએ પોતાના વિભાગના કર્મચારીઓ દ્વારા સામાન્ય જનતા સુધી માહિતી મળે તે માટે બનતા તમામ પ્રયત્નો કરવા પ્રાંત અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જસદણ અને વિંછીયાના મામલતદારશ્રી એસ.જે. અસ્વાર, ‘‘આત્મા’’ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એચ.ડી. વાદી, વિછીયા તાલુકાના ટી.પી.ઇ.ઓશ્રી ડી.ડી.રામાનુજ, જસદણ તાલુકાના ટી.પી.ઇ.ઓશ્રી જી.કે.ગોસ્વામી, વિંછીયાના પી.એસ.આઇ. શ્રી આઇ.ડી.જાડેજા, જસદણના આર.એફ.ઓશ્રી એલ.વી. પાડસરીયા, ફોરેસ્ટ ગાર્ડ શ્રી બી.બી. રંગપરા, પ્રોજેક્ટ આત્માના અધિકારીશ્રીઓ, વિંછીયા અને જસદણ તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ખેતીવાડી વિભાગના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ સહિતના અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








