
પંજાબના રાજકારણમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે. પંજાબ સરકારે રાજ્યના શહીદ સ્મારકો પર લખાયેલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હટાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ભાજપે પંજાબની આપ સરકાર પર અયોગ્ય નિર્ણય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પંજાબ સરકારે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા આ નિર્ણય કરતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
ભાજપના આરોપ અને સવાલો પર પંજાબની આપ સરકારે જવાબ આપ્યો છે. રાજ્ય સરકારે કહ્યું કે, શહીદ સ્મારકો પર માત્ર શહીદોના જ નામ હોવા જોઈએ. બીજીતરફ પંજાબ ભાજપના અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું કે, રાજ્યની ભગવંતમા સરકારે શહીદોની યાદગીરી દર્શાવતા શીલાલેખ ઉપરથી પીએમ નરેન્દ્ર મોદીનું નામ હટાવી દીધું છે. તેમણે રાજ્ય સરકારની આ કાર્યવાહીને અયોગ્ય ગણાવી છે.
પંજાબ સરકારે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા આદેશ જારી કરી રાજ્યના શહીદ સ્મારકોની તખ્તી પર લખાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પટ્ટીને હટાવવાનો નિર્ણય કર્યા બાદ ભાજપે પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. પંજાબ ભાજપના અધ્યક્ષ સુનીલ જાખડે આ કાર્યવાહીનો વિરોધ કરતા કહ્યું કે, દ્વેષભાવથી કામ કરીને માન સરકારે શહીદોના સ્મારકો પરથી વડાપ્રધાનનું નામ હટાવી ખરાબ રાજકારણનો પુરાવો આપ્યો છે. જાખડે કહ્યું કે, આવા પ્રકારની કાર્યવાહીથી પંજાબમાં ખોટો સંદેશ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.










