

ભરૂચ જિલ્લાના કુલ ૨૫ ગામો પૈકી ૧૯ ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્ણતાને આરે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ભરૂચ : ભારત સરકાર પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા સર્વગ્રાહી મૂલ્યાંકન હાથ ધરાઈ છે.જે અંતર્ગત તા.૧૯ જુલાઈના રોજ શરૂ થયેલ ભરૂચ જિલ્લાના કુલ ૨૫ ગામો પૈકી ૧૯ ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩નો સર્વે પૂર્ણતાને આરે આવી પહોચ્યું છે.
આ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ અન્વયે મોબાઇલ એપ્લિકેશન દ્વારા નીચે મુજબની વિગતોની સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના ૩ જંબુસરના ૪ આમોદના ૩ વાગરાના ૩ ઝઘડિયાના ૧ ભરૂચના ૧ વાલિયાના ૪ગામોનો સમાવેશ થાય છે.
જેમાં જાહેર સ્થળો જેવા કે પંચાયત ઘર,આંગણવાડી,પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને તેમાં સ્વચ્છતા, ટોયલેટ, હેંડવોશની સુવિધા, પાણીની સુવિધા ચકાસવામાં આવી હતી.ગામના કુલ ઘરો પૈકી ૧૫ ઘરોમાં જઈ શૌચાલય,શોષખાડા, પાણીની સુવિધા, હાથ ધોવાની સુવિધા તેમજ ઘન અને પ્રવાહી કચરાનાં વ્યવસ્થાપનની પણ ચકાસણી કરવામાં આવે છે.આ ઉપરાંત આ યોજના અંતર્ગત બનાવેલ ભૌતિક સુવિધાઓની પણ મુલાકાત ટીમ દ્વારા લેવામાં આવી હતી. વધુમાં ગ્રામજનોનાં સ્વચ્છતાને લગતા પ્રતિભાવો પણ ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા.
આ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જનસંપર્ક અધિકારી જયેશ પટેલે દિલ્હીથી આવેલ સ્વચ્છતા સર્વેક્ષણની ટીમને જિલ્લાના વિવિધ ગામોના સ્વચ્છતા લક્ષી બાબતે અવગત કર્યા હતા.તેમાં ગામોના સરપંચો, તલાટી તથા ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.








