
તા.૧૨/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમ્યાન વરસાદના કારણે પીવાનું પાણી દૂષિત થવાથી, પાણીજન્ય રોગચાળો ફેલાઈ છે. પરંતુ, આની પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનથી પાણીજન્ય રોગચાળો ફેલાતા અટકાવી શકાય છે. ઉપરાંત ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થ જેવા કે બરફના ગોલા, કુલ્ફી, ઠંડાપીણા લસ્સી, શેરડીનો રસ તથા વધુ પાકી ગયેલા ફળો ખાવાના ઉપયોગમાં લેવાથી કોલેરા, ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ વગેરે પાણીજન્ય રોગ થાય છે.

આ રોગચાળાથી બચવા યોગ્ય પગલાઓ લેવા જેમ કે, પીવાના પાણીને ઉપયોગમાં લેતા પહેલા ૨૦ મિનિટ સુધી ઉકાળ્યા બાદ જ પીવું અથવા ક્લોરીનેશન વાળું પાણી જ પીવું જોઈએ. પીવાના ૨૦ લીટર પાણીમાં એક ક્લોરીનની ટીકડી ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. ઘરોની આસપાસ ગંદકી ન કરવી અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. જાહેર જગ્યાઓ જેમ કે હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તાની લારીઓમાં વેચાતા વાસી અખાદ્ય પદાર્થ કે ખુલ્લામાં વેચાતા કાપેલા, પાકી ગયેલા ફળો ખાવાનું ટાળવું જોઈએ. ખાધ્ય પદાર્થોને ઢાંકીને રાખવા અને દૂધ ઉકાળીને જ પીવું જોઈએ.
શાળા, કોલેજ જેવી જાહેર સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોના પાણીસંગ્રહ સ્થાન(ટાંકી)ની નિયમિત સફાઈ થાય તેની તકેદારી રાખી મલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનીયા જેવા રોગોથી બચવા મચ્છરનો ઉપદ્રવ અટકાવો જોઈએ. મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ઘરની આજુબાજુ નાના ખાડા, ખાબોચિયામાં પાણી ભરાયા હોય તેને વહેતું કરવું તથા ઘરમાં જૂના ભંગાર, ટાંકી, ટાયર, તૂટેલા માટલાં, તથા જૂના પાત્રોમાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવી જોઈએ. પોતાના રહેઠાણ આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો નોંધાય તો તુરંત જ સ્થાનિક આરોગ્ય કાર્યકર આશાબહેનને જાણ કરો. જેથી ત્વરિત રોગ અટકાયતના પગલાં લઈ શકાય તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.








