
તા.૧૯ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. ૨૧ જૂન – નવમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં નિ:શુલ્ક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટમાં ઠેર-ઠેર યોગ શિબિરો યોજવામાં આવી રહી છે. જેમાં અનેક લોકોએ યોગની તાલીમ લઈ યોગના મહત્વને જાણ્યું હતું.

રાજકોટમાં ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચશ્રી પારુલબેન દેસાઈના નેજા હેઠળ યોગ ટ્રેનરશ્રી ભાવનાબેન હરખાણી દ્વારા યોગ કક્ષામાં ‘યોગ સંવાદ’નો વર્ગ યોજાયો હતો. જેમાં યોગ કોચશ્રી દ્વારા “યોગ એ જીવન જીવવાની કળા છે” વિષય પર વક્તવ્ય આપીને લોકોને યોગ શિબિરોમાં આવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, યોગ સાધકોને ટ્રેનર બની, નિઃશુલ્ક યોગ કક્ષા શરૂ કરવા પ્રેરણા આપી હતી. તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અને સમર્પણ ધ્યાન સેન્ટરના સહયોગથી પતંજલિ તાલુકા પ્રભારીશ્રી અલ્પાબેન પારેખ દ્વારા આયોજિત યોગ પ્રોટોકોલ શિબિરમાં સમર્પણ ધ્યાનના સાધકોએ ભાગ લીધો હતો. જેમાં યોગ ટ્રેનર્સશ્રી દર્શનાબેન આહ્યા, અરુણાબેન સાંચલા, હેતલબેન દલસાણિયા, રૂપાબેન ધામેચા, હંસાબેન ભેંસદડિયા અને જીજ્ઞાબેને જહેમત ઉઠાવી હતી.

વધુમાં, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોગ કોચશ્રી ગીતાબેન સોજીત્રાના નેજા હેઠળ ટ્રેનરશ્રી રીટાબેન અકબરીના સહયોગથી યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ હતી. જેમાં સાધકોને યોગાસનનો અભ્યાસ કરાવી, તેના ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના યોગ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોગ કોચશ્રી ડો. ધર્મિષ્ઠાબેનના નેજા હેઠળ યોગ કક્ષામાં સંવાદનું આયોજન કરાયું હતું. જેમાં યોગ કોચશ્રી દ્વારા સાધકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવી, નિયમિતપણે યોગ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું, તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.









