IOA એ ભારતીય રેસલિંગ ફેડરેશનના તમામ આઉટગોઈંગ અધિકારીઓને તાત્કાલિક અસરથી WFI ના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી, તા. 13 મે 2023, શનિવાર
ભારતીય ઓલિમ્પિક સંઘે મોટો નિર્ણય લીધો છે. IOA એ ભારતીય રેસલિંગ ફેડરેશનના તમામ આઉટગોઈંગ અધિકારીઓને તાત્કાલિક અસરથી WFI ના સંચાલનમાં કોઈપણ વહીવટી કાર્ય કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજોના પ્રદર્શન બાદ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના તાજેતરના નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અગાઉ એક એડહોક કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટી દરરોજ WFIની કામગીરી પર નજર રાખતી હતી તે જ કમિટી આગામી સમયમાં WFIની ચૂંટણી પણ કરાવશે.
IOAએ આ મામલે આદેશ જારી કર્યો છે. જેમાં ખેલ મંત્રાલયના 24 એપ્રિલના આદેશનો પણ હવાલો આપવામાં આવ્યો છે. કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ તેની સામે FIR નોંધવામાં આવી હતી. બીજી તરફ જંતર-મંતર પર એકઠા થયેલા કુસ્તીબાજો ઈચ્છે છે કે આ કેસમાં બ્રિજ ભૂષણની ધરપકડ થવી જોઈએ. બ્રિજ ભૂષણ આ મામલે સતત સ્પષ્ટતા આપી રહ્યા છે. તેણે અનેક વીડિયો જાહેર કરીને આ મામલે પોતાને નિર્દોષ જાહેર કર્યો છે. બ્રિજ ભૂષણે પોતાના પર લાગેલા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યા છે.










