
તા.૨૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગામમાં પહેલીવાર આંબાનું વાવેતર કરનારા ખેડૂતને રૂપિયા ૨૪ હજાર ઘનિષ્ઠ વાવેતર સહાય ચૂકવાઈ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અકાળા ગામમાં ખેડૂતો માટે ૨૪મી ફેબ્રુઆરીએ સજીવ ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત ભાઈઓ-બહેનો મળીને ૧૨૫ જેટલા લોકો જોડાયા હતા.

સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરવા પર ખેડૂતોનો ઝોક વધી રહ્યો છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે તાલીમ પણ આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી આર.કે. બોઘરાના વડપણ હેઠળ આ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીવામૃત, સંજીવામૃત વગેરે કેમ બનાવવા તેની પ્રત્યક્ષ તાલીમ અપાઈ હતી. આ સાથે પ્રાકૃતિક ખેતીથી કેવા કેવા ફાયદા થાય છે તેની માહિતી અપાઈ હતી. મહત્ત્વનું છે કે, સજીવ ખેતી બિલ્કુલ સામાન્ય કે નજીવા ખર્ચમાં થાય છે, જેનાથી ખેડૂતોને ખેતીનો ખર્ચ ઘણો ઘટી જાય છે. આ તકે ખેડૂતોને સજીવ ખેતી અંગે મુંઝવતા પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. શ્રી બોઘરાએ ગુજરાત સરકારના બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માહિતી આપીને, તેનો લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી બાગાયત નિયામક ડૉ. પી.એમ.વઘાસિયા ઑનલાઈન જોડાયા હતા અને ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.

અકાળા ગામમાં પહેલી વાર આંબાનું વાવેતર કરનાર પ્રગતિશીલ ખેડૂતશ્રી કાનજીભાઈ વણપરિયાને બાગાયત વિભાગ તરફથી ઘનિષ્ઠ વાવેતર સહાય અંતર્ગત રૂપિયા ૨૪,૭૨૪ની ચૂકવાયેલી સહાય અંગે પણ ખેડૂતોને માહિતી અપાઈ હતી. ઉપરાંત ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પણ જણાવાયું હતું. જ્યારે જેતપુર તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી નરેન્દ્રભાઈ બોરડે ખેતીવાડીની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમથી ખેડૂતો સજીવ ખેતી તેમજ ગુજરાત સરકારની વિવિધ કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓથી માહિતગાર થયા હતા.








