
તા.૧૫ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લામાં ૩૨ હજારથી વધુ ખેડૂતોને અપાઈ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની તાલીમ
રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અંગે આજે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ તેઓને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના સારા ભાવ મળે તે માટે જરૂરી વેચાણ વ્યવસ્થા ઊભી કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અપાઈ ચૂકી છે. જેમાંથી મોટા ભાગના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના ફાયદા જાણીને તેને અપનાવવા માટે રસ દાખવ્યો છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દરેક ગામમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, તેવા પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૧૧૮ ગામો એવા છે, જ્યાં ૭૫થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેમને ઉપજના સારા ભાવ મળે તે માટે રાજકોટ શહેર-જિલ્લામાં અલાયદી વેચાણ-વિતરણ વ્યવસ્થા ઊભી કરવામા આવશે. આ માટે હાલમાં રાજકોટના મહત્ત્વના સ્થળે સપ્તાહમાં એક વખત વેચાણ સ્ટોલ્સ ઊભા કરીને ખેડૂતોને બજાર પૂરું પાડવાનું આયોજન વિચારવામાં આવ્યું હતું.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે આગામી દિવસોમાં વધુમાં વધુ ગામોમાં, વધુમાં વધુ ખેડૂતોની પદ્ધતિસરની તાલીમ પણ યોજવામાં આવનાર હોવાનું ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી તથા આત્મા પ્રોજેક્ટના ચેરમેનશ્રી દેવ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એ. એલ. સોજીત્રા, નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી વી.પી. કોરાટ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડિયાના વડા ડૉ. જી.વી. મારવિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળીયાના વડા ડૉ. એન. બી. જાદવ, પશુપાલન વિભાગ, બાગાયત વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








