JETPURRAJKOT

આર્ટિઝન કાર્ડ ધરાવતા ૧૯૦થી વધુ કારીગરોને વોટ્સએપથી ડિજિટલ બિઝનેસનું માર્ગદર્શન અપાયું

તા.૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, હસ્તકલા સેતુ યોજનાના કેશ-ક્રેડિટ કેમ્પમાં કારીગરો ઉમટ્યા

એક તરફ કેન્દ્રીય બજેટમાં કારીગરોને પ્રોત્સાહન માટે વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ યોજના જાહેર કરાતી હતી, એ જ સમયે રાજકોટમાં આર્ટિઝન કાર્ડ ધરાવતા કારીગરો માટે કેશ-ક્રેડિટ કેમ્પ-લોનમેળો ચાલી રહ્યો હતો. જેમાં જિલ્લામાંથી ૧૯૦થી વધુ આર્ટિઝન કાર્ડધારક કારીગરો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં વિવિધ સરકારી સહાય યોજનાઓ, લોન સહાયની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ હતી. અહીં હેલ્પડેક્સના માધ્યમથી વાજપેયી બેંકેબલ યોજના માટે આશરે ૭૦ કારીગરોએ અરજી કરી હતી. આ કેમ્પમાં વોટ્સએપના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ પર બિઝનેસ કઇ રીતે કરવો તેનું નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અને હસ્તકલા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે આજે, બહુમાળી ભવન ખાતે કેશ-ક્રેડિટ કેમ્પ-લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરીએ જણાવ્યું હતું કે, ધંધા-વ્યવસાયના વિકાસ માટે કારીગરો વ્યાજના ચક્કરમાં ન પડે અને તેઓને સરળતાથી બેન્ક લોન તથા મળવાપાત્ર અન્ય સરકારી સહાય અને સબસિડીનો લાભ મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે.

સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી સી.એન. મિશ્રાએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત વિચરતી જાતિ માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘ઈ-સમાજ કલ્યાણ’ વેબ પર સમાજ કલ્યાણ યોજનાઓની માહિતી સરળતાથી મળી જાય છે. એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. છાત્રોને વિદેશ અભ્યાસ માટે ગુજરાત સરકાર ૧૫ લાખ રૂપિયાની લોન આપે છે. જ્યારે કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે ૨૫ લાખ રૂપિયાની લોન આપે છે.

પોલીસ ઈન્સ્પેક્ટર બી.એમ. જનકાતે કહ્યું હતું કે, ઘણા લોકો ધંધા-રોજગાર માટે નાણા મેળવવા વ્યાજના ચક્કરમાં પડે છે. આ બાબતોથી બચવા માટે તેમણે સરકારી યોજનાઓ, બેન્કો દ્વારા સરળતાથી અપાતી લોનનો લાભ લેવા અને કોઈને વ્યાજના ચક્કરમાં ન પડવા અપીલ કરી હતી. જો ઉપસ્થિત કારીગરોમાંથી કોઈ વ્યાજખોરીમાં સપડાયું હોય તો તત્કાલ પોલીસનો સંપર્ક કરવા તેમણે કહ્યું હતું.

આ કેમ્પમાં કારીગરોને દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, પી.એમ.ઈ.જી.પી. યોજના તેમજ બેન્કો દ્વારા અપાતી લોનની માહિતી આપવામાં આવી હતી.

આ કેમ્પમાં સોશિયલ મીડિયા એક્સપર્ટ શ્રી લાલ પેશવાની તેમજ સચિન ત્રાંબડિયાએ ડિજિટલ પ્લેટફોર્મ પર બિઝનેસ કેમ કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કારીગરોને વોટ્સએપ બિઝનેસ કેમ સ્ટાર્ટ કરવો, પ્રોફાઈલ કેમ બનાવવી તથા કેટેલોગ કેમ બનાવવા તેની વિગતવાર જાણકારી આપી હતી. અનેક કારીગરોએ આ નવા માધ્યમથી પોતાના ધંધા-વ્યવસાયનો વિકાસ કરવા ઉત્સાહ દાખવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ પ્રમોશન ઓફિસર શ્રી પી.બી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન હસ્તકલા સેતુ યોજનાના ડિસ્ટ્રીક્ટ લીડ નિરવ ભાલોડિયાએ કર્યું હતું. જ્યારે ક્રેડિટ લિંકેજ નિષ્ણાત શ્રી ઋચા ત્રિવેદી, જિલ્લા આઉટરિચ પરસન શ્રી નેહા હથિયારી, આંત્રપ્રિનિયર લીડ શ્રી નિલેશ જોશી, જિલ્લા આઉટરિચ પરસન શ્રી ચંદ્રેશ રાઠોડ, તેમજ હસ્તકલા સેતુ યોજનાની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button