
રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી.
કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલુ હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઈને ગયા છે, ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમા કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. હમણા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવાનો મતલબ કે આ લોકો ક્યાંકને ક્યાંક કસૂરવાર છે.
અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ ઘટી છે. ઘણા લોકોએ પરિવારના સ્વજનો ગુમાવ્યા છે. કોઈ અધિકારીને કંઇ લાગતું વળગતું ન હોય એ રીતે સહેલાયથી આ બધી બાબતોને જોવામાં આવે છે. અત્યાર સુધીની ઘટનામાં કોઈ અધિકારીને સંડોવવામાં આવતા નથી. મુખ્ય જવાબદાર અધિકારીઓ હોય છે. એ અધિકારીઓ આવા પીળા પરવાના આપી દેતા હોય, જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે છે. આ ઘટનાને હળવાશથી ન લેવી જોઈએ. રાજકોટ બાર એસોસિએશન જે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારજનોની સાથે છે.
અમારાથી બનતા પ્રયાસો કરવામાં આવશે અને મદદરૂપ થઇશું. પોલીસ કમિશનરને જે કંઇ રજૂઆત કરવી પડતી હશે તે રજૂઆત કરીશું. તપાસ પારદર્શક થાય, જે કંઈ ક્ષતિ છે તેને દૂર કરવામાં આવશે. આજે પણ જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેમાં રાજકોટ બાર એસોસિએશનની ટીમ ખડે પગે રહેશે.









