ગિરનાર તળેટીમાં ૩૯ આર્ટિસ્ટે તૈયાર કરેલા વોલ પેઈન્ટિંગ કહે છે….’પ્લાસ્ટિકને ના’
પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ પર તૈયાર થયેલા રંગબેરંગી ચિત્રો ગિરનાર તળેટીમાં નવી આભા ઉમેરે છે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર આજે વોલ પેઇન્ટિંગ સ્પર્ધા પૂર્ણ થઈ છે. આ સ્પર્ધાની થીમ મુજબ ૩૯ જેટલા આર્ટિસ્ટે તૈયાર કરેલા વોલ પેઈન્ટિંગ પર્યાવરણ પ્રકૃતિના જતન સાથે પ્લાસ્ટિકના વપરાશ ન કરવા માટેનો સંદેશ આપી રહ્યા છે. આમ, જાણે દરેક ચિત્રો કહે છે….’પ્લાસ્ટિકને ના’. ભગવાન મહાદેવ, વન્ય પ્રાણી, મંદિર, ગીરનાર પર્વત વગેરેને સાંકળીને દિવાલ પર રંગબેરંગી અને કલાત્મક કંડારેલા ચિત્રો તળેટીમાં નવી આભા ઉમેરે છે.
ગિરનાર તળેટીમાં આ રંગબેરંગી અને કલાત્મક વોલ પેઈન્ટિંગ ગિરનાર દર્શને આવતા પ્રવાસી- પર્યટકોને પ્રતિબંધિત અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે પણ પ્રેરણા પૂરી પાડશે.
જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ ઉપર ગિરનાર નવી સીડી, રોપ વે પાર્કિંગ, સુદર્શન તળાવ સહિતના સ્થળોએ આ વોલ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતાઓ પણ જાહેર કરવામાં આવશે અને તેમને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.