MORBI:ગુજરાત સરકારના અમૃત કાળના બજેટને અનુમોદન આપી, આવકારી,વિધાનસભામાં મનનીય વિચારો વ્યક્ત કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

ગુજરાત સરકારના અમૃત કાળના બજેટને અનુમોદન આપી, આવકારી,વિધાનસભામાં મનનીય વિચારો વ્યક્ત કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
માન. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા અંદાજપત્રને અનુમોદન આપતા, વિવિધ વિષયોની ચર્ચા કરતા, મોરબીને મળેલા લાભો અને મળતી સુવિધાઓ વિષે અનુભવપૂર્ણ પ્રવચન આપતા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા.
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલનો તથા કૃષિ કોલેજ ફાળવાતા માન. કૃષિમંત્રીશ્રી શ્રીરાઘવજીભાઈ પટેલનો આભાર માન્યો હતો.

મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગ વિશે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે મીઠાના અનેકવિધ ઉપયોગો છે. મીઠાના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે છે. સમગ્ર ભારતના મીઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 70% જેટલો છે, જે પૈકી મોરબી જિલ્લામાં પણ ઉલ્લેખનીય માત્રામાં મીઠું ઉત્પાદન થાય છે. વિશ્વના 55 જેટલા દેશોમાં મીઠાની નિકાસ કરીને ભારત કીમતી હૂંડિયામણ પણ મેળવે છે.
મીઠાના મોટા ઉત્પાદકો ઉપરાંત 10 એકર મીઠું ઉત્પાદન કરનારા અગરિયા અને શ્રમિકો માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને લોકપ્રિય વર્તમાન પ્રધાનમંત્રીશ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશેષ પ્રોત્સાહન તથા સુવિધાઓ આપી છે જેને અન્ય તમામ મુખ્યમંત્રીશ્રીઓએ આગળ ધપાવી છે
થોડા સમય પહેલા મોરબી વિસ્તારના મીઠા ઉદ્યોગોના પ્રશ્નો માટે બહોળા પ્રતિનિધિમંડળ સાથે ધારાસભ્યશ્રી શ્રીકાંતિભાઈ અમૃતિયા, માન. મુખ્યમંત્રીશ્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માન. વનમંત્રીશ્રી શ્રી મુળુભાઈ બેરા સમક્ષ પ્રશ્નોની રજુઆત કરી હતી અને મહદ અંશે તમામ પ્રશ્નોનો તુર્ત જ નિકાલ લઈ આપવા બદલ બંને મહાનુભાવશ્રીઓનો પણ આભાર માન્યો હતો.*
મોરબી જિલ્લામાંથી જ મીઠાની નિકાસ થાય તે માટે સરકારશ્રીએ નવી જેટ્ટી મંજૂર કરવામાં આવતા સરકારશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
મીઠા ઉદ્યોગને પીવાના કે સિંચાઈના પાણીથી નુકસાન ન જાય તે માટે મોરબી-માળીયા તાલુકાના લગભગ તમામ ગામ તળાવ તથા સીમ તળાવોને ઈન્ટરલિંક કરી તળાવો ભરવાની બહુલાભિત, ₹ 150 કરોડથી વધારે રકમની યોજના લઈ આવવા માટે માન. જળસંપત્તિ મંત્રીશ્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.
સાથે સાથે મીઠા ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોના બાળકોને ઉચિત રીતે શિક્ષણ મળી રહે તે માટે ટી.વી. પંખા અને અન્ય વિશેષ સુવિધા ધરાવતી સ્કૂલ ઓન વ્હીલ ચલાવવા માટે માન. શિક્ષણમંત્રીશ્રી શ્રી કુબેરભાઈ ડીંડોરનો પણ આભાર માન્યો હતો.
એકંદરે અમૃતકાળનું ગુજરાતનું આ બજેટ ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જશે એવો આશાવાદ વ્યક્ત કરી માનનીય નાણામંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીને શ્રી કાંતિભાઈ અમૃતિયાએ અંદાજપત્રને અનુમોદન આપ્યું હતું.








