
21-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
નિયમિત અને પુરા સમયની સારવારથી ટી.બી. ચોક્કસ મટી શકે છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા અને એપોલો ટાયર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
મુન્દ્રા કચ્છ :- ટી.બી. હારેગા, દેશ જીતેગા અભિયાન અંતર્ગત ક્ષય રોગને દેશવટો આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા તથા ટી.બી.ના છુપા દર્દીઓને શોધવા અને સક્રિય દર્દીઓ નિયમિત સારવાર લે અને ક્ષય રોગ અંગે મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં વસતા પરપ્રાંતીય લોકોમાં જાગૃતિ આવે એ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા અને એપોલો ટાયર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ટી.બી. અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધ્રબ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ડો. હસનઅલી આગરિયાએ લોકોની આરોગ્ય તપાસ કરી હતી. જ્યારે એપોલોના કુલદીપસિંહ જાડેજાએ ટી.બી. નાબૂદી અભિયાન માટે તેમની સંસ્થા 365 દિવસ કાર્યરત છે જેની જાણકારી આપી હતી.‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ની કર્તવ્ય ભાવના સાથે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્રના સિનિયર લેબોરેટરી ટેકનેશિયન રિદ્ધિબેન રાવલે જણાવ્યું હતું કે ક્ષય રોગ એ અતિ ચેપી રોગ છે, જે માઈકો બેક્ટેરીયમ ટ્યુબરક્લોસીસ નામના બેકટેરિયાને કારણે થાય છે. દર્દીના છીંકવા – ખાંસવાથી ક્ષયના જીવાણું હવા મારફતે ફેલાય છે. બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી તેમજ તાવ આવવો, છાતીમાં દુ:ખાવો થવો, ગળફામાં લોહી પડવું, વજન ઘટવું જેવા લક્ષણો ક્ષય રોગ હોવાનો સંકેત કરે છે. ક્ષય રોગને નાબૂદ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં દેશભરમાં ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત તાલુકાના તમામ ક્ષય નિવારણ કેન્દ્રોમાં ટી.બી.ની તપાસ અને સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે એવી જાણકારી આપી હતી.મુન્દ્રાના સીનીયર ટી.બી. સુપરવાઈઝર મેઘજીભાઈ સોધમે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા “ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ પોષણ યુક્ત આહાર માટે દર્દીઓને સારવાર દરમિયાન દર માસે રૂ. 500 ડાયરેક્ટ બેનિફિશીયરી ટ્રાન્સફર મારફતે બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે.નિયમિત અને પુરા સમયની સારવારથી ટી.બી. ચોક્કસ મટી શકે છે જે માટે વિનામૂલ્ય નિદાન અને સારવાર કરાવવા ગભરાયા વિના નિઃસંકોચપણે લોકો આગળ આવે તેવી અપીલ કરતા ઝરપરા આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરની ટીમ દ્વારા ટી.બી. રોગના નિદાન માટે 24 ગળફાના નમૂના લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય સ્ટાફ તથા એપોલો ફાઉન્ડેશનની ટીમે સહયોગ આપ્યો હતો.








