

6 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રાજય સરકાર દ્વારા બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે ‘વાઘા બોર્ડર’ ખાતે યોજાતી રીટ્રીટ સેરેમનીથી પ્રેરિત થઈ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ પ્રોજેકટ શરૂ કરેલ છે. જે અન્વયે વિદ્યાર્થીઓને સીમાંત સ્થળે રહેતા ગ્રામજનોનું જીવન નિહાળવાની તક મળે તેમજ દેશની સીમાઓને પોતાના જીવના જોખમે રાત-દિવસ સુરક્ષિત રાખતા આપણા વીર સૈનિકો અને તેમનું જીવન નિહાળીને વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવે અને તેમનામાં દેશભકિતની ભાવના વધુ મજબૂત થાય તે હેતુથી શાળાઓ દ્વવારા નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન થાય છે. આ આયોજનના જ ભાગરૂપે જગાણા ખાતે આવેલ શ્રીમતી એસ.કે.મહેતા હાઈસ્કૂલ, જગાણાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણે સહિત કુલ ૩૭૫ લોકોએ સીમાડાના આ વિહારધામ બનેલા આ નડાબેટની સહેલગાહ માણી હતી. જેમાં ગેળા હનુમાન મંદિરથી લઈને નડાબેટ સીમાદર્શન તેમજ પોઈન્ટ ઝીરો બોર્ડરની પણ મુલાકાત લઈ વિદ્યાર્થીઓ આનંદથી ઝઝુમી ઉઠયા હતા. બે ટંક જમવાની તેમજ સવારે ચા–નાસ્તાની સુવિધા પૂરી પડાઈ હતી. સીમાદર્શન ખાતે અવનવી મિલિટ્રી રાઈડમાં સાહસિક પ્રવૃતિઓ કરવાનો તેમજ યોજાયેલ પરેડને જોવાનો લ્હાવો મળ્યો હતો. ઝીરો પોઈન્ટ અને ‘સીમાદર્શન’ ખાતે સેલ્ફી પોઈન્ટ ઉપર વિદ્યાર્થીઓ ફોટો પડાવવા ઉમટી પડયા હતાં.શિયાળાની ઋતુનું આગમન થતાં જ નડાબેટના રણસરોવરના મહેમાન બનેલા વિદેશી પક્ષીઓનો નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રવાસ વિદ્યાર્થીઓ તેમજ સમસ્ત સ્ટાફગણ માટે યાદગાર બની રહેશે.સમગ્ર પ્રવાસ આયોજનને સફળ બનાવવા આચાર્ય તેમજ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.







