જૂનાગઢ નેચર ફર્સ્ટ દ્વારા ગિરનાર જંગલમાંથી ૯૫ અઠવાડિયામાં ૧૭ ટન પ્લાસ્ટિકનો નાશ કરાયો

જૂનાગઢ નેચર ફર્સ્ટ દ્વારા ગિરનાર જંગલમાંથી ૯૫ અઠવાડિયામાં ૧૭ ટન પ્લાસ્ટિકનો નાશ કરાયો
વાત્સલ્યમ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૯૫ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિ નું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે.
જે અંતર્ગત આજરોજ નેચર ફર્સ્ટ તથા હ્યુમાનિટી ફર્સ્ટની ટીમ દ્વારા રોપવે સાઈટથી જટાશંકર આસપાસના જંગલ વિસ્તારમાં ૯૫મું પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું, અને આ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન દરમિયાન આશરે ૫૫ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો.
તેમજ છેલ્લા ૯૫ સપ્તાહ દરમ્યાન નેચર ફર્સ્ટ દ્વારા ગીરનાર જંગલમાંથી આશરે ૧૫ થી ૧૭ ટન જેટલાં પ્લાસ્ટિકનો નાશ કર્યો છે.
નેચર ફર્સ્ટના ભરતભાઈ બોરીચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા માટે “પ્રથમ પ્રકૃતિ” બીજું બધુ પછી એટલે જ અમે નેચર ફર્સ્ટના નામથી છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવીએ છીએ અને અમારી સંસ્થા સતત પ્રકૃતિની ચિંતા કરતી આવી છે, અને કરતી પણ રહેશે, પ્રકૃતિનું જતન કરી સમાજની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માનીએ છીએ, જેના ભાગરૂપે આજે જટાશંકર જંગલ વિસ્તારમાં અમારી સંસ્થાએ ૯૫મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન હાથ ધર્યું હતું.
વધુમાં ભરતભાઈ બોરીચાએ પોતાની વાતમાં ઉમેર્યું હતું કે પ્લાસ્ટિક એ પ્રકૃતિ માટે ઝેર સમાન તો છે, જ પણ સાથે સાથે પ્લાસ્ટિક મનુષ્ય સહિત દરેક જીવને નુકશાન કરી રહ્યું છે, માટે દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ માની કોઈપણ પ્રકારના બાહ્ય આડંબરો કે ફોટો સેશનનો મોહ છોડી થોડો સમય ફાળવે તે આજના સમયની જરૂરિયાત છે, નહીંતર આવનારા સમયમાં આપણે આપણી આવનારી પેઢીને વામન સ્વરૂપે જોવાનો સમય આવશે. જેથી મનુષ્ય પાસે હજુ સમય છે, માટે સપ્તાહમાં એક દિવસ ગ્લોબલ વોર્મિંગથી કઈ રીતે બચી શકાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
તેમજ સાથે સાથે ગીરનાર જંગલ વિસ્તારમાં રજાના સમયે ફરવા જતા લોકો પણ થોડી જાગૃતિ લાવી જંગલ વિસ્તારના જીવનની ચિંતા કરી પ્રકૃતિને નુકસાનકારક પ્લાસ્ટિકનો કચરો ન કરે તેવો અનુરોધ કર્યો હતો.





